સૌથી વધુ 47 કબૂતરે જીવ ગુમાવ્યો : કબૂતર સહિત સમડી, કાગડા, કોયલ, ઘુવડ પણ ઘાયલઃ 14 કેન્દ્રો પર સારવાર અપાઇ.
સુરત શહેરમાં બે દિવસ ઉતરાયણ અને વાસી ઉતરાયણમાં એ લપેટ, એ લૂંટ એ કાપ્યો છ ેની બૂમાબુમ વચ્ચે આકાશમાં વિહાર કરતા પક્ષીઓ દોરાથી કપાઇ જવાના સંખ્યાબધ્ધ બનાવો બન્યા હતા. આ બે દિવસમાં વન વિભાગ અને સંસ્થાઓના વોલીન્ટીયર દ્વારા દોરાથી ઘાયલ થયેલા કુલ ૧૧૨૨ પક્ષીઓમાંથી ૧૦૪૧ ને તત્કાળ સારવાર આપી બચાવી લેવાયા હતા. જયારે કબુતર, સમડી, કાગડા, કોયલ ,ઘુવડ સહિતના ૮૧ પક્ષીના મોત થયા હતા. નર્સિંગ એસો. અને સહ્સ્ત્રફણા ટ્રસ્ટને મળેલા કોલમાં ૧૨૦થી વધુ પક્ષીના મોત થયા હતા.
શહેરીજનોએ કોરોનાની ત્રીજી લહેર ભુલીને ઢાબા, ટેરેસ પર જઇને બે દિવસ ઉતરાયણની બરાબર મજા માણી હતી. ઉતરાયણના દિવસે સવારથી જ પતંગ ચગાવવાની શરૃઆત કરી દીધી હતી. આ બે દિવસ પંતગ ચગાવવાના હોવાથી આકાશમાં ઉડતા પક્ષીઓ દોરીથી ઘાયલ થાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વન વિભાગ-પશુપાલન વિભાગ અને શહેરીની ૧૧ સંસ્થાઓ દ્વારા કરૃણા અભિયાન હેઠળ પક્ષી બચાવ અભિયાન હાથ ધર્યુ હતુ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૦૦૦ જેટલા સ્વંય સેવકો ખડેપગે સેવા બજવી હતી. તો ૧૪ સારવાર કેન્દ્ર અને ૧૫ કલેકશન સેન્ટરો અને ૫૦ થી વધુ તબીબો છેલ્લા બે દિવસથી સેવા આપી હતી.
સુરત જિલ્લા ફોરેસ્ટ અધિકારી પુનિત નૈયરના જણાવ્યા મુજબ ઉતરાયણના દિવસે કુલ ૫૩૮ કબુતર, સમડી, કાગડા ઘુવડ સહિતના પક્ષીઓ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ૪૭ કબુતર સહિતના પક્ષીના મોત થયા હતા. બાકીના ૪૯૧ ને સારવાર આપી સાજા કરાયા હતા. આજે વાસી ઉતરાયણના દિવસે પણ ૫૮૪ પક્ષીઓ દોરાથી કપાઇ ગયા હતા. જેમાંથી ૫૫૦ સારવાર આપી બચાવી લેવાયા હતા. જયારે ૩૪ ના મૃત્યુ થયા હતા. આમ બે દિવસમાં કુલ ૧૧૨૨ કબુતર, સમડી, કાગડા, કોયલ ,ઘુવડ સહિતના પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાંથી ૮૧ પક્ષીઓના મોત થયા હતા. અને ૧૦૪૧ ને બચાવી લેવાયા હતા. તેમના જણાવ્યા મુજબ વન વિભાગ અને પશુપાલન સહિત ૧૧ સંસ્થાઓની સ્વંય સેવકો દ્વારા છેલ્લા બે દિવસથી સતત બચાવ કામગીરી કરવાથી આ પક્ષીઓને બચાવી શકયા છે. હજુ અમારુ અભિયાન આગામી ૨૦ મી જાન્યુઆરી સુધી ચાલશે.
0 ટિપ્પણીઓ